06.07.08

ગ્રીષ્મ

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:52 pm by Chirag

ગ્રીષ્મ – બંસીધર પટેલ

શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
આગઝરતી બપોરથી બનેલા વીહ્વળ, ‘ને મળી શાતા.
લતાઓમાં સંતાઈ ગયેલી કળીઓ સહેજ ડોકાઈને લપાઈ.
અવનીથી રીસાયેલો અનીલ, ધીરેધીરે પ્રસર્યો સર્વત્ર.
નવશેકું બનેલું જળ, પામી રહ્યું પુનઃ સ્વસ્થીતી.

બેબાકળા બનેલા મનુષ્ય, હાશ અનુભવી રહ્યા લગીર.
ભુલકાં પણ ખેલી રહ્યાં, જાણે વીખરાયેલાં ચમન-પુષ્પ.
ગોરજનો સમય મહામુલો, ઉડાડી રહ્યો માદક રજ.
વીખરાયેલાં સહુ, દોડે – યથાસ્થાને મળવાની હોંશ.
બની આહ્લાદક સમીસાંજ, ના ભાસે લગીરે ગ્રીષ્મ પવન.
આ આવી, આ ગઈ, સાંજ, નીશાને મળવા ઉતાવળી.
રાત્રી જશે, સુપ્રભાત થાશે, ફરીથી આગઝરતો બપોર.
નીરવ શાંતીમાં અશાંતી, વીરોધાભાસ ખરો જીવનનો.

ઉષ્ણ, શીતળ કે સમશીતોષ્ણ, હોય સઘળાં એક.
જીવનતણાં ઘરનાં રુમ, જોડાયેલા ચક્ર-આરા અનેક.
મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.

2 Comments »

  1. pragnaju said,

    વાયુપુરાણમાં ગ્રીષ્મ ઋતુને શિષ્મણ કહી છે.શોષી લેનારી એટલે શિષ્મણ.આ ઋતુમાં સૂર્ય જળને શોષી લે છે.વેદોમાં ગ્રીષ્મ ઋતુના માસોને સૂચિતમાં શુષ્ક કહ્યા છે. શાસ્ત્ર જાણકારોએ મંગળને પણ વાતાવરણમાં ગરમી ફેલાવવા માટે સૂર્ય પછીનો બીજો મહત્વનો ગ્રહ કહ્યો છે. મંગળનું કાર્ય દાહ પેદા કરવાનું છે ત્યારે અહીં …
    શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
    વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
    શીતળ વાત આહ્લાદક લાગે છે
    અને છેવટની વાત ચીતન કરતા મૂકે—
    મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
    ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
    શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
    સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.
    વાહ્

  2. સુરેશ જાની said,

    બહુ જ સરસ વર્ણન અને જીવન સાથે સુંદર સરખામણી.


Leave a Comment