04.22.07

aartanaad - Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 4:59 pm by Chirag

આર્તનાદ - બંસીધર પટેલ

ઝીલ્યા છે ઘા એરણ બની, જીવનમાં હથોડ તણા;
ખેડી છે સફર અફાટ સમંદરની, બની સાગરખેડૂ સખા.
નથી ભાર્યા દિન કે રાત, કરી દોડમદોડ અહર્નિશ અવિરત;
વેઠીને કષ્ટ બેહદ, કરવા સુખી સ્વજનને હરહંમેશ.
હાંફતાં હાંફતાં લીધી રે વાટ, કિનારો હવે લાગે નજદીક;
ભૂલીને સમયની સરગમ, છેલ્લે બન્યા રાંક ફકીર.

ભર્યોભાદર્યો નિરખી સંસાર, અમ અંતર ખીલે પુરબહાર;
નાના-મોટા બાળકોને કર્યા છે પ્રેમ સદાબહાર.
ખાય છે ચાડી ઉંમર અમારી, અવસ્થા તણી ઘડી ઘડી;
ભલે હો પાનખર અમે ખીલવીશું વસંત બહાર નવી.
પડ્યા છોને ઘાવ અમ પર, ના ડરવાના કોથી લગીર;
અર્પીશુ અમૃત ખુદ પચાવી સોમલ, જીવન મંથન મહી.

લીધો છે યોગ અનાસક્ત તણો નથી અન્ય આશા લગારે;
છો ને આવે મોત કાલે ભેટીશું દોડીને હરખભેર જતા તહી.
હસે છે વડ નીરખી વડવાઇઓ, અમ હસ્યા આ સુતર્ક થકી;
ભલે બદલાયો કાળ, નથી અમે બદલાયા, દઇશું આશિષ અંતરની.
નથી વિસાત અમોને માન-અપમાન તણી, કરી અદા ફરજ સદા;
નાચે જ્યમ મયૂર વસંત મહી, માંહલો અમતણો થનગને સદા.

ખાયો ઓડકાર અમીરસ તણો પલટાવી પાનખરને વસંત મહી;
વદી છે વિતકકથા, માને જો કોઇ, ભેરૂ ભાઇબંધ ખરો;
માનવીના માનવી તારે શિરે, પણ લાગશે ખપ તો પાનખર કાળે.

spand - Chirag Patel

Posted in કવિતા, ચિરાગ પટેલ at 4:40 pm by Chirag

સ્પંદ - ચિરાગ પટેલ Aug 22, 1999

મળ્યાં બે ધબકાર અને પ્રકાશ્યું એક જીવન;
પ્રગટી ચેતના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ખળખળ વહેતી અલખનંદા, મળી મહાસાગરને;
ઊભરી મેઘગર્જના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

પુષ્પ પાંગર્યું આ વનરાવનની લતાશ્રેણીઓમાં;
પ્રગટી સુગંધ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

લીલુડી ધરતી પર ઝરમર છાંટણાં વર્ષાનાં;
મ્હેંકી અવની, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ઝબૂકી વીજળી, જઇ મળી પેલી નાની પહાડીને;
પ્રગટી ઉષ્મા, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

વિરહી બન્યું હૈયું, અંતર રહ્યું પ્રિયજનથી;
ઊઠી વરાળ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

જાણ્યું અંતરમન, પ્રેમ વ્યાપ્યો રોમેરોમ;
સૂણ્યો અંતર્નાદ, પામ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

04.18.07

Indian Music - Chirag Patel

Posted in ચિરાગ પટેલ, નિબંધ at 6:02 pm by Chirag

ભારતીય સંગીત - ચિરાગ પટેલ Apr 18, 2007

પ્રાચીન - આર્વાચીન ભારતીય જીવનમાં સંગીતનું ઘણું જ મહત્વ રહ્યું છે. આપણાં દરેકના જીવન સાથે આધ્યાત્મિક, શાસ્ત્રીય, ફિલ્મી કે આધુનિક - દરેક પ્રકારનું સંગીત વણાઇ ગયું છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા સમાધિ પણ પ્રાપ્ત કરી છે. ઘણાં લોકોએ સંગીત દ્વારા ચમત્કાર પણ કરી બતાવ્યાં છે. સંગીત જુદાં-જુદાં વાદ્યો દ્વારા કે જીવોના અવાજ દ્વારા પ્રગટ થતું રહ્યું છે. બ્રહ્માંડના દરેક કિરણોત્સર્ગ અને ધ્વનિમોજાંઓમાં સંગીતનો નાદ ઉત્પન્ન થાય છે. એને અલગ પ્રકારનાં માધ્યમોથી ઝીલી શકાય છે. દરેક પદાર્થ - જીવંત કે નિર્જીવ, તારાઓ જેવો મોટો કે પરમાણુ જેટલો નાનો, પોતાનું સંગીત રેલાવતો રહ્યો છે, જેને ચોક્કસ ઉપકરણો દ્વારા સાબિત કરી શકાય છે. આ સંગીત કે લય એ જ જીવંતતાનો કે પ્રાણશક્તિનો પુરાવો છે.
આ નિબંધ - An Autobiography of a Yogi - Swami Yoganand, પર આધારિત છે.

ભારતમાં સંગીત, ચિત્ર અને નાટકો કે નૃત્ય ને દિવ્યકળાનો દરજ્જો મળેલો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - એ ત્રિમૂર્તિને પહેલાં સંગીતકારો તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય નૃત્યકાર શિવ એમનાં નૃત્યની સાથે સાથે નાદનાં અનંત ભાવસાગરનાં ઉત્પન્નકર્તા મનાયા છે. એમનાં ડમરૂંના નાદ પરર્થી શિવસૂત્રજાળની રચના થઇ છે, જેના પરથી શબ્દ-ધ્વનિની અને સંસ્કૃતના શબ્દોની રચના થઇ છે. બ્રહ્માએ સમયમાં સ્પન્દન જગાવ્યું હતું. વિષ્ણુએ મૃદંગ કે ઢોલ વડે અવાજ ઉત્પન્ન કર્યો. આમ, સૃષ્ટિની રચના અને લાલન-પાલન થયું. સરસ્વતી હંમેશા વીણા સાથે જોવા મળે છે જે તંતુવાદ્યોની જનક છે. સામવેદમાં સહુથી પહેલા સંગીતવિજ્ઞાનની છણાવટ થયેલી જોવા મળે છે.

ભારતીય સંગીતનો પાયો ‘રાગ’ કે સ્કેલ તરીકે ઓળખાય છે. મુખ્ય 6 રાગ એ 126 શાખાઓમાં કે જે રાગિણી અને પુત્ર તરીકે ઓળખાય છે, વિભાજીત થાય છે. દરેક રાગમાં ઓછામાં ઓછા 5 સ્વર કે નોટ હોય છે: એક વાદી અથવા પ્રમુખ, એક સંવાદી અથવા પ્રધાન, ઘણાં અનુવાદી અથવા સંત્રી, અને એક વિવાદી અથવા શત્રુ.

દરેક મુખ્ય રાગ ચોક્કસ સમયગાળા સાથે સંબંધિત છે. રાગ ઋતુઓ સાથે અને ચોક્કસ દેવ સાથે પણ સંકળાયેલાં હોય છે.

હિંડોળા રાગ - વસંતના પરોઢિયા સમયે ગવાય છે, શાશ્વત પ્રેમની અનુભૂતિ આપે છે.
દિપક રાગ - ઉનાળાની સાંજે ગવાય છે, તીવ્ર આવેગ સાથે સંકળાય છે.
મેઘ રાગ - ચોમાસાની બપોરે ગવાય છે, વીરત્વ કે હિમ્મતનો વર્ધક છે.
ભૈરવી રાગ - ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરની સવારે ગવાય છે, શાંતિની અનુભૂતિ આપે છે.
શ્રી રાગ - પાનખરની સાંજ માટે છે, પૂર્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે.
માલકૌંસ રાગ - શિયાળાની મધ્યરાત્રિએ ગવાય છે, બહાદુરી કે વીરતાનો વર્ધક છે.

પ્રાચીન ઋષિઓએ પ્રકૃતિ અને જીવ વચ્ચેનું સંગીતમય જોડાણ શોધી કાઢ્યું હતું. બ્રહ્માંડની રચના ઓમથી જ થઇ હતી જે પ્રાથમિક સ્પંદ કે ધ્વનિ છે. મનુષ્ય ચોક્કસ મંત્ર કે જે ધ્વનિનું ચોક્કસ બંધારણ છે, એના દ્વારા પ્રકૃતિનાં તત્વો પર કાબૂ મેળવી શકાય છે.

ભારતીય સંગીત ઓક્ટેવ કે ધ્વનિ શૃંખલાંને 22 શ્રૂતિઓમાં વિભાજીત કરે છે. પાશ્ચાત્ય સંગીત માત્ર 12 શ્રૂતિઓ જ ધરાવે છે. ઓક્ટેવના સાત સ્વર છે. દરેક સ્વર ચોક્કસ રંગ અને પ્રાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

સા - ડો - લીલો - મોર
રે - રે - લાલ - ચંડોળ (skylark)
ગ - મી - સુવર્ણ - બકરી
મ - ફા - પીળાશ પડતો સફેદ - બગલો (heron)
પ - સો - કાળો - બુલબુલ
ધ - લા - પીળો - ઘોડો
નિ - ટિ - બધાં રંગોનો મેળ - હાથી

પાશ્ચાત્ય સંગીતમાં માત્ર 3 સ્કેલ છે - મેજર, હાર્મોનિક માઇનર, મેલોડીક માઇનર. જ્યારે ભારતીય સંગીતમાં કુલ 72 થાટ કે સ્કેલ છે. મુખ્ય રાગ-રાગીણી અને થાટમાં સંગીતકાર પોતાની કલ્પના અને ભાવનું અનોખું સંમિશ્રણ કરીને અવનવો રાગ રજૂ કરી શકે છે. સંગીતકાર દરેક સમયે મુખ્ય બંધારણમાં નવી શ્રેણી, ભાર અને પુનરાવૃત્તિ ઉમેરીને રજૂ કરી શકે છે.

સંસ્કૃત સાહિત્ય 120 તાલ કે ટાઇમ-મેઝરનું પણ વર્ણન કરે છે. એવું કહેવાય છે કે, પ્રાચીન ભારતીય સંગીતના પ્રણેતા, ભરત છે જેમણે ચંડોળ પક્ષીના ગાનમાંથી 32 તાલ રચ્યાં હતાં. તાલને રિધમ પણ કહે છે. તાલ મનુષ્યના હાલચાલ પર આધાર રાખે છે - ઝડપી ચાલ, દ્રૂત ચાલ, શ્વાસોચ્છવાસનો ઊંઘમાં ત્રણગણો સમય, વગેરે. ભારત હંમેશા મનુષ્યના અવાજને સંગીતની રચના માટે ઉત્તમ વાદ્ય ગણતું આવ્યું છે. એટલે જ, ભારતીય સંગીતમાં સૂરમેળાપ (harmony - relation of simultaneous notes) કરતાં સ્વરમાધુર્ય (melody - relation of successive notes)ને મહત્વ આપે છે.

પ્રાચીન ઋષિઓ ગાયક કે વાદકને બ્રહ્માંડિય ગાન સાથે એકરૂપ કરવાં માંગતાં હતાં. આ બ્રહ્માંડિય ગાન કે લય કે સ્પંદ કે પ્રાણશક્તિના પ્રવાહને કુંડલિની શક્તિના પ્રવાહને ઉર્ધગામી કરવાથી સાંભળી શકાય છે - જે કાનમાં સતત રણકાર સ્વરૂપે અનુભવી શકાય છે.

ભારતીય સંગીત આત્મલક્ષી, આદ્યાત્મિક અને વ્યક્તિગત કળા છે, જે માત્ર ઉત્તમ સંગીત રચના જ નહિ પરંતુ દિવ્યાત્મા સાથેના સાક્ષાત્કારનું લક્ષ ધરાવે છે. સંસ્કૃતમાં સંગીતકારને “ભગવતાર” કહે છે, અર્થાત “જે પ્રભુની પ્રશસ્તિનું ગાન કરે છે”. સંકિર્તન કે સંગીતમય ભક્તિ એ યોગ કે આદ્યાત્મિક શિસ્તનું અસરકારક માધ્યમ છે, જેમાં ઉત્તમ ધ્યાન અને વિચારોની ગાઢ સમજ અને ધ્વનિ જરૂરી છે. મનુષ્ય પોતે સર્જક શબ્દ (ઓમ)ની નીપજ છે, તેથી જ ધ્વનિ એના પર સહુથી શક્તિપૂર્વક અને ત્વરિત અસર કરે છે, અને એને પોતાના દિવ્ય મૂળતત્વની અનુભૂતિ કરાવે છે.

04.15.07

pratixaa - Chirag Patel

Posted in કવિતા, ચિરાગ પટેલ at 5:17 pm by Chirag

પ્રતિક્ષા - ચિરાગ પટેલ Aug 01, 1999

જન્મોજન્મની પ્રતિક્ષા પછી થયું છે મિલન;
મિલનનનો હર્ષ પામ્યા પછી મળી છે પ્રતિક્ષા.

મદભરી એ ક્ષણોએ અનુભૂતિ કરાવી અનંતની;
હોય કાંઇ, ગમે છે આવી દર્દભરી ક્ષણો પણ.

સુવાસભરી એ હ્રુદિયામાં, મોટા અંતરાલથી;
ભીની-મીઠી ખુશ્બુ, તરબતર કરે છે મનને.

અવિચળ એવો હિમાલય, યાદ અપાવે હંમેશ;
ભલે હોય સંઘર્ષ, રાખો ઉન્નત મસ્તક પ્રેમથી.

થશે પાછું મિલન, ધડીઓ ઝડપથી વીતતાં;
સાક્ષી નબશે ઇતિહાસ, પિયુમિલનથી એમ જ.

માણીએ આવી પળોને, છે મધુરી જીંદગી;
છે આનંદ એમાંય, છે એની એક મસ્તી.

કૃપા છે હંમેશ, એવાં અનંત સર્જકની જો;
મસ્તી છે એની, ખેલ છે એનો, સ્વીકારીએ.

pralaya-Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:16 pm by Chirag

પ્રલય - બંસીધર પટેલ

ભાસે પ્રલય ભયંકર નજદીકમાં, ભાસે પ્રલય ભેંકાર;
જતી-સતીએ ભાખ્યા વેણ સાચ, જગમાં ભાસે પ્રલય ભેંકાર.
નવ નદીઓના નીર ચઢશે ઘોડાપૂર વિશાળ, ભાસે પ્રલય ભેંકાર;
વરસશે અગનગોળા આકાશથી, ભાસે પ્રલય ભેંકાર.

થાશે માંહેમાંહે યુધ્ધ કે ભાસે પ્રલય ભેંકાર;
ભાસે અણચિંતવ્યાં એંધાણ, ભાસે પ્રલય ભેંકાર;
અન્યોઅન્યનો રહેશે લગાર ના સાથ, ભાસે પ્રલય ભેંકાર.

ધરમ-કરમ સહુ જાશે રસાતળ કે નજીકમાં ભાસે પ્રલય ભેંકાર;
સાધુ-સતીનો કોઇ ઠામ મુકામ નહિ હોય, ભાસે પ્રલય ભેંકાર.
નહિ રહે બાપ-બેટામાં સંપ કે સાથ, ભાસે પ્રલય ભેંકાર;
માન-મર્યાદાનો થાશે ઘણો અતિ-લોપ કે ભાસે પ્રલય ભેંકાર.

ત્રાહિમામ પોકારી ધરણી જોડે બે હાથ કે જગતમાં ભાસે પ્રલય ભેંકાર;
સપ્તર્ષિનું વૃન્દ પણ કરે છે કરૂણાગાન કે ભાસે પ્રલય ભેંકાર;
ધરમીને ઘણું કષ્ટ ને અધર્મને લીલા લહેર કે ભાસે પ્રલય ભેંકાર.

ફૂંકાયો છે શંખ પ્રભુનો રહેજો સહુ તૈયાર કે નજીકમાં ભાસે પ્રલય ભેંકાર;
મનુષ્ય, જાનવર ને જીવસૃષ્ટિનો થાશે સર્વનાશ કે ભાસે પ્રલય ભેંકાર.
ચેતનવંતા હોય જો નર ચેતી જાય સુજાણ કે ભાસે પ્રલય ભેંકાર;
ધારેલું થાય ધણીનું એમાં લગીરે ના શક કે ભાસે પ્રલય ભેંકાર.

પ્રલય પણ જાય વિખરાય હોય જો તેની મરજી;
તણખલું પણ ના હાલે જો હોય ના તેની મરજી.
આપણે પણ રહીએ રાજી જેમાં હોય તેની મરજી;
નારાજીને તારાજી એ તો પ્રભુની મરજી.

04.10.07

prashasti - Chirag Patel

Posted in કવિતા, ચિરાગ પટેલ at 1:43 am by Chirag

પ્રશસ્તિ - ચિરાગ પટેલ Sep 01, 1998

વિરહની પળ પળ છે વસમી, જીરવવી;
નાનકડું દિલ છે, એક આશ એને પકડવી.

અરે, કોણ ટહુકો કરી રહ્યું છે મનમંદિરમાં;
એ જાણે સંગીત રેલાવે છે આ સમંદરમાં.

યાદોની રેતથી ચણ્યો છે મોટો મહાલય;
ક્યારેક તો આવ, મેંહકાવ આ આલય.

દિશાઓ સઘળી ઊમટી રહી છે, બધેથી;
અશ્રુવર્ષા ભીંજવે છે, જોઇ રહી તું આઘેથી.

સહવાસની મધુર ક્ષણો, ખાલી રહી યાદોમાં;
ભીડ વચ્ચે સાંભળ, એ અવાજ ફરિયાદોમાં.

મલપતી, મલકાતી, ઘૂમતી, કલબલતી પરી;
કેટલું અંતર છે, એ જાણ, પાસ આવ તો ખરી.

આવી ના લે પરીક્ષા મારી બહુ અઘરી-અઘરી;
કહે તો હાલ જ મોકલી દઉં આતમ, અબઘડી.

જાણું છું અને સમજુ પણ છું, વસમી દૂરીને;
દિલ નથી માનતું, નાદાનને સમજાવું કેમ કરીને?

ત્યાં જ નટખટ દિલમાં આવે છે એક અવાજ;
હું તો અહીં છું, ને ક્યાં શોધું એને આમ જ.

હરઘડી છુપાઇ રહી તું આમ જ દિલમાં;
તડપાવીને, રડાવીને હવે બોલી તું દિલમાં.

————————————————————–

છે આ જગત માયા, છોડ બધું બની જા સન્યાસી;
છે આ જ જગત, કરે છે ઉત્કર્ષ, બન સાચો સન્યાસી.